• રાજકોટમાંથી 3 આતંકીઓ પકડાતા રાજ્યભરમાં હાહાકાર
  • આરોપી બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ અબુ તાલ્હા સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું
  • ટેલિગ્રામ દ્વારા થતો હતો સંપર્ક

રાજકોટની સોની બજારમાં કામ કરતા 3 આતંકીઓ પકડાતા રાજ્યભરના હાહાકાર મચી ગયો છે. જેને લઈને ખાસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે ATS ની સતર્કતાને પગલે સૌરાષ્ટ્ર પરથી મોટી ઘાટ ટળી છે. આતંકીઓની પૂછપરછમા એકપછી એક હચમચાવી નાખતા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકીઓ અલકાયદાના ટોચના આતંકીઓ સાથે સંપર્કમાં હોવાનો ધડાકો થયો છે. તપાસમાં આરોપી બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ અબુ તાલ્હા સાથે સોશિયલ મીડિયા (ટેલિગ્રામ)ના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે..એટલું જ નહીં ટેલિગ્રામ દ્વારા સતત વાતો થતી હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.

થોડા સમય અગાઉ રાજકોટની સોની બજારમાંથી આતંકવાદી સેફ નવાઝ તથા અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ ને દબોચી લીધા હતા. જે આરોપીઓ સોશિયલ મીડિયામાં AK-47 હથિયારની ટ્રેનિંગ લેતા હતા. અને સ્થાનિક યુવાનોને ટાર્ગેટ કરી આતંકી બનાવી હુમલો કરાવવાના હતા. આવા અનેક ડરામણા ખુલાસા થઈ રહ્યા છે. વધુમાં એ પણ સામે આવ્યું હતું કે આતંકીઓ જન્માષ્ટમીના દિવસે સૌરાષ્ટ્રમાં મોટા ધડાકો કરવાની તૈયારીમાં હતા. જેથી આ અંગે આરોપીઓની પોલીસ ઊંડી તપાસ કરી રહ્યા છે.

તપાસમાં અબુ તાલ્હા સાથેના સબંધ મામલે ધડાકો થયો છે. ખાસ વાત એ છે કે અબુ તાલ્હા અલ કાયદાનો સૌથી ખુંખાર આંતકી છે અને અલ કાયદાના ગુજરાતના વિવિધ મોડ્યુલરોનો તે હેન્ડલર પણ હોવાનું મનાઈ રહ્યું છે. અબુ તાલ્હાની સામે દેશભરમાં 10 જેટલા કેસો પણ નોંધાઈ ચૂક્યા છે અને અલ કાયદાનો ટોચનો નેતા હોવાનું પણ બહાર આવ્યું છે. ભારતની એજન્સીઓ તેમની પર સતત નજર રાખીને બેઠી હોવાનું જાણવા મળી રહે છે.