જામનગર શહેરમાં જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગે પૂર્ણવિરામ થયું છે. અને આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ પદાધિકારીઓની મુદત આજે પૂરી થઇ હોવાથી ભાજપે નવા નામોની જાહેરાત કરી છે. જેમાં જામનગરના નવા મેયર તરીકેની જવાબદારી વિનોદ ખીમસુરીયાના શિરે સોંપાઈ છે. જે વોડ નં 16ના કોર્પોરેટર છે. તથા સ્ટે. ચેરમેનપદે વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેષ કગથરા અને ડે. મેયર તરીકે વોડ નં 10ના ક્રિષ્નાબેન સોઢા અને શાસક પક્ષના નેતા તરીકે આશીષ જોષી (વોડ નં 5), દંડક પદે કેતન નાખવા (વોડ નં 13)ની નિમણૂક કરવામાં આવી છે.

મેયર વિનોદ ખીમસુરીયા

ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા

ચેરમેન નિલેશ કગથરા

આજે નવા ઉમેદવારની જાહેરાતમાં સંગઠનમાં જામનગર દક્ષિણ બેઠકનું વધુ ઉકળ્યું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે પાંચમાંથી ચાર પદ આ વિસ્તારના ફાળે ગયા છે. સામે બાજુ જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ભાગે માત્ર એક જ પદ આવ્યું હતું. વધુમાં શહેરના 4 વોર્ડ ભાજપનો ગઢ ગણાય છે. તેમા વોર્ડ નં.5 અને 9નો પણ સમાવેશ થાય છે. આ વોર્ડને જામનગર મહાનગરપાલિકાની નવી બોડીમાં મહત્વનું સ્થાન મળ્યું છે. કારણકે અઢી વર્ષની પ્રથમ ટર્મમાં મેયર તરીકે બિનાબેન કોઠારી રહ્યા હતાં. જે ને આજે ચાર્જ છોડ્યો છે. જે વોર્ડ નં.5ના કોર્પોરેટર છે. આજે નવી જાહેરાત મુજબ વધુમાં શાસકપક્ષના નેતા તરીકે આશિષભાઇ જોષી પણ વોર્ડ નં.5નું પ્રતિનિધિત્વ કરે છે. જેથી આ વોર્ડ નં.5 એ કાઠું કાઢ્યું છે.

શાસક પક્ષ નેતા આશીષ જોષી

દંડક પદે કેતન નાખવા

તેમજ વોર્ડ નં.9ના કોર્પોરેટર તરીકે અઢી વર્ષ કુસુમબેન પંડયા નેતા તરીકે નિવૃત થયા બાદ વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર નિલેશ કગથરાને મહત્વનું ગણાતું સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકેનું પદ દેવાયું છે. 78 જામનગર ઉત્તર અને 79 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકના વિસ્તારની વાત કરવામાં આવે તો મેયર પદ, ડેપ્યુટી મેયર પદ અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનનું પદ તથા દંડકનું પદ જામનગર દક્ષિણ બેઠકને ફાળે ગયું છે. જયારે એક માત્ર શાસકપક્ષના નેતાનું પદ જામનગર ઉત્તર બેઠક પાસે આવ્યું છે. આમ દક્ષિણ બેઠકને 80 ટકા અને ઉત્તરને માત્ર 20 ટકા પ્રાધાન્ય મળ્યું હોવાનું જણાય છે.

સ્ટેન્ડીંગ કમિટિના 12 સભ્યોની યાદી

સ્ટેન્ડીંગ કમિટિના જે 12 સભ્યો ચૂંટાયા છે તેમા નિલેશ કગથરા (ચેરમેન), મનીષ કટારીયા (પૂર્વ ચેરમેન), સુભાષ જોષી (ભૂતપૂર્વ ચેરમેન), ધર્મરાજસિંહ જાડેજા, કેશુભાઇ માડમ, કિશનભાઇ માડમ, ડિમ્પલબેન રાવલ, કેતનભાઇ ગોસરાણી, અરવિંદભાઇ સભાયા, હર્ષાબા જાડેજા, પાર્થ જેઠવા અને લાભુબેન (અમીતાબેન) બંધીયાનો સમાવેશ થાય છે.